આરબ શેખો, મુસ્લિમ સત્તાધીશો તથા અમીરો કહેવાતા આતંકવાદથી સંપૂર્ણ ગાફેલ

0
127

મુસ્લિમ દેશોના રાજાઓ, શેખો તથ સત્તાધીશો ઇસ્લામ ધર્મને આતંકવાદીઓના ધર્મ તરીકે સાબિત કરવામાં આડકતરી રીતે સૂરમાં સૂર મિલાવી રહ્યા છે. અમેરિકા, પશ્ચિમના દેશો તથા બિનમુસ્લિમ દેશોની સરકારો ઇસ્લામધર્મની જગ્યાએ આતંકવાદ શબ્દનો ઉપયોગ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ઈસ્લામ તથા મુસ્લિમોને બદનામ કરી રહ્યા છે. મુસ્લિમ દેશોમાં તેમના રાજકીય તથા આર્થિક હિતો હોવાથી ડાયરેકટ ઇસ્લામ અથવા મુસ્લિમ શબ્દ વાપરતા નથી. સ્વાર્થી આરબ દેશો તથા મુસ્લિમ સત્તાધીશો વિદેશના પ્રવાસ ટાણે પોતાની સંયુકત યાદીમાં આતંકવાદી શબ્દને સંમતિ આપી અડકતરી રીતે ઇસ્લામ ધર્મ આતંકવાદીઓનો ધર્મ છે, એની સંમતિ આપી રહ્યા છે. યુનો તથા જુદા જુદા સંમેલનોમાં પણ, ઠરાવોમાં ઇસ્લામ ધર્મની જગ્યાએ આતંકવાદ શબ્દને બહાલી આપી દીનની કુસેવા કરી રહ્યા છે. કોઈ પણ સંયુકત યાદી અથવા ઠરાવમાંથી આતંકવાદ શબ્દ કાઢી નાખવાની હિંમત કરશે ત્યારે જ વિશ્વભરના મુસ્લિમો આતંકવાદીના લેબલથી મુકત થશે.

મુસ્લિમ ઉમ્માહ ઇસ્લામ વિરુદ્ધનો દુષ્પ્રચાર ખાળવામાં સદંતર નિષ્ફળ ગઈ છે તેના માટે ધનિક આરબ શેખો મુસ્લિમ દેશોના સત્તાધીશો તથા અમીરો સંપૂર્ણ જવાબદાર છે. આરબ શેખો પોતાની સંપત્તિ પોતાના મહેલો બાંધવામાં તથા બાગ-બગીચાઓ બનાવવામાં વેડફી રહ્યા છે. બીજી બાજુ સમગ્ર વિશ્વભરના મુસ્લિમ ધનિકો પોતાની મોટાભાગની આવક એ.સી. મસ્જિદો, મદ્રેસાઓમાં તથા દરગાહો પાછળ ખર્ચી રહ્યા છે. અરે ભલા માણસો સમયના તકાદા સામે જોઈ તમારી સંપત્તિ ઇસ્લામ વિરુદ્ધ દુષ્પ્રચાર નાબૂદ કરવામાં ખર્ચાશે તો જ ધાર્યા પરિણામો મેળવી શકશો. આ માટે આક્રમક મીડિયાની તાતી જરૃર છે. ફકત અરબી ભાષા તથા અંગ્રેજી ભાષાથી કામ નહીં ચાલે. વિશ્વની અગ્રગણ્ય ભાષાઓમાં જેવી કે ફ્રેન્ચ, હિંદી, સ્પેનીસ, સિંહાલી, (આફ્રિકન), જર્મન, ઈટાલીયન, ડચ, ચીની, જાપાની વગેરે ઉપર પ્રભુત્વ ધરાવનારા યુવાન મુસ્લિમો તૈયાર કરવાનો સમયનો પોકાર છે. જો આ કાર્યમાં ગફલત કરશો તો ઇસ્લામ વિશે વિશ્વ સમાજને સાચી જાણકારી મળશે જ નહીં. ‘ઉમ્માહ’ના આરબ શેખો, અમીરો તથા ધનિકોની એ પવિત્ર ફરજ થઈ પડે છે કે આ ક્ષેત્રે વધુમાં વધુ મૂડીરોકાણ કરવામાં આવે.

આજે સમગ્ર વિશ્વના અખબારો, ચેનલો તથા મીડિયા તમને આતંકવાદી સાબિત કરવામાં રચ્યા-પચ્યા છે ત્યારે તેની સામે આક્રમક લડત આપવાની જરૃર છે. મુસ્લિમો પાસે નાણાનો બિલકુલ અભાવ નથી. તેમની સોચ (વિચારધારા) બદલવાની જરૃર છે. આ માટે સમજદારી, કુનેહ, આયોજન તથા સંકલનોની જરૃર છે. જો તાકીદે પગલા નહીં ભરવામાં આવે તો ઇસ્લામ વિરુદ્ધ વધારે ગેરસમજ ઉભી કરવામાં આવશે. આથી યુવાન મુસ્લિમોમાં હતાશા જન્મશે. તેઓ ગેરમાર્ગે દોરવાશે અને અમેરિકા, યુરોપ તથા બિનમુસ્લિમ દેશોના રવાડે ચઢી ઇસ્લામનું અહિત કરવા પ્રેરાશે. આથી વિશ્વ સમાજમાં ઇસ્લામ વિશે સાચી માહિતી આપવાની તથા સમજ ફેલાવવાની સખત જરૃરત છે. આ કામમાં જરા પણ ઢીલ કરવામાં આવશે તો ઇસ્લામના વિરોધીઓને મોકળું મેદાન મળી જશે.

ઈસ્લામ ધર્મના સિદ્ધાંતોનો ઝીણવટભર્યું ઊંડું જ્ઞાાન ધરાવનારા નિષ્ણાતોની વિશ્વની જુદી જુદી ભાષાઓમાં ટીમો ઉભી કરવી પડશે. જે ઇસ્લામ અંગે સમગ્ર વિશ્વમાં જાણકારી તથા સાચી સમજ આપવામાં સહાયભૂત થશે. દીન તથા દુનિયાના જાણકાર યુવાનો તૈયાર કરવા પડશે. જે અમલ તથા આચરણમાં સાચા અર્થમાં મુસ્લિમો છે. એવી વિશ્વ સમાજમાં છાપ ઉભી કરવી પડશે. ઇસલામનો અર્થ જ શાંતિ છે. ઇસ્લામ સહઅસ્તિત્વમાં અડગ શ્રાધ ધરાવે છે. સમગ્ર વિશ્વના બધા જ માનવીઓ એકબીજાના ભાઈબંધો છે. કોઈ ઊંચો કે કોઈ નીચો નથી. ઈસ્લામ આર્થિક અસમાનતાનો કટ્ટર વિરોધી છે. ઇસ્લામ વિશ્વમાં સાચી લોકશાહીની સ્થાપના કરવા માગે છે. બહુમતી દ્વારા તથા ટોળાશાહી મારફત સત્તા હાંસલ કરનારા સત્તાધીશો ઉપર લગામ લગાવે છે. વ્યક્તિવાદનો વિરોધી તથા સમાજના માનવતાવાદી કાયદા-કાનૂનનો પ્રખર હિમાયતી છે.

અણીશુદ્ધ એકેશ્વરવાદને કારણે ધર્મગુરૃઓ તથા સત્તાધીશોની મિલીભગતનો તોડ છે. માનવીને નિર્ભયી, સદાચારી, સદ્ગુણી, પ્રમાણિક તથા સજ્જન બનાવવામાં ઈસલામ અગત્યની ભૂમિકા ભજવી શકે છે. આ કારણે જ અમેરિકાની જેલોમાં હબસીઓને સુધારવામાં કેટલાક મુસ્લિમ પ્રચારકોને પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી જેના પરિણામ સ્વરૃપે અમુક ખૂંખાર કેદીઓને સુધારવામાં સહાયતા મળી) ઇસ્લામ આતંકવાદીઓનો ધર્મ છે એ છાપ ભૂંસવા માટે અથાગ પ્રયત્નો કરવા પડશે. પશ્ચિમના હિત ધરાવતા પ્રચાર માધ્યમોની સામે ઈસ્લામનો પ્રચાર ખૂબજ કંગાળ સ્થિતિમાં છે. આથી વિશ્વસમાજમાં એક ગેરસમજ ઘર કરી ગઈ છે કે ઇસ્લામ એટલે આતંકવાદીઓનો ધર્મ. પરંતુ વાસ્તવમાં એવું છે જ નહીં. ઇસ્લામ ઝઘડો, ટંટોફસાદ તથા આતંકવાદનો કટ્ટર વિરોધી છે. કોઈપણ નિર્દોષ માનવીની હત્યાની ઇસ્લામમાં મનાઈ ફરમાવવામાં આવી છે.

ઇસ્લામને બદનામ કરવામાં, પશ્ચિમના ગોરાઓ તથા બિનમુસ્લિમોને ફાવટ આવી, તેના પાછળ કેટલાક ઐતિહાસિક કારણો પણ સંપૂર્ણ જવાબદાર છે. (૧) સૌથી પ્રથમ ક્રુુઝેડ (ધર્મયુદ્ધો) સમયે યુરોપ સૌ પ્રથમવાર મુસ્લિમોના સંપર્કમાં આવ્યા, અણીશુદ્ધ એકેશ્વરની ઇસ્લામની આંધી સામે તે પાંગળું સાબિત થયું એટલે ઇસ્લામ તલવારના જોરે ફેલાયુ એવી થીયરી દ્વારા પ્રોપેગન્ડા કરવામાં આવ્યો. (ર) ત્યારબાદ મોટા ભાગમાં ઈસ્લામી દેશો સંસ્થાનવાદનો ભોગ બન્યા. તેમનું શાસન હોવાથી ભૌતિકવાદના વાવાઝોડા સામે ઇસ્લામને ટક્કર લેવી પડી. તેમનો પ્રચારતંત્ર તથા સત્તા સામે મુસ્લિમો નબળા રહ્યા. મુસ્લિમો દરેક રીતે ખ્રિસ્તી ધર્મ સામે હામ ભીડી શકયા નહીં. લગભગ મોટાભાગના મુસ્લિમ દેશોના લોકો ઉપર ખ્રિસ્તી ધર્મનો રંગ ચઢી ગયો. (૩) સંસ્થાનવાદ બાદ આરબ દેશોમાં પેટ્રોડોલરની રેલમછેલ થઈ. આ સમયગાળા દરમ્યાન આરબો તથા મુસ્લિમો એક નંબરના ઐય્યાશ (ભોગવિલાસી) છે એવી છાપ ઉભી કરવામાં આવી તેના માટે અમુક ગણ્યાગાંઠયા આરબો પણ જવાબદાર છે. (૪) ઇસ્લામના હમદર્દો તથા યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ વધતા તથા સભાનતા આવતા, કેટલાક જાંનિસાર (જાનની બલિ આપનાર) યુવાનો પશ્ચિમ તથા બીનમુસ્લિમ દેશો સામે મેદાને પડયા. આ યુવાનો જ્યાં સુધી અમેરિકા તથા પશ્ચિમના કહ્યા મુજબ અફઘાનિસ્તાન તથા અન્ય મુસ્લિમ દેશોમાં લડતા રહ્યા, ત્યાં સુધી મુજાહિદ તથા ફ્રીડમ ફાઈટરના નામે નવાજવા (બિરદાવવા)માં આવ્યા. ત્યારબાદ તેમની વિરુદ્ધમાં પડતા તેઓને આતંકવાદીઓના નામે ઓળખવામાં આવ્યા. આમ આતંકવાદ જેવી કોઈ સમસ્યા છે જ નહીં. હાલમાં જ લાસવેગાસ ખાતેના આતંકવાદી હુમલાને શરૃઆતમાં ઈસ્લામ સાથે સાંકળવાની નાકામ કોશિશ કરવામાં આવી. બાદમાં અમેરિકાની પોલ ખુલી ગઈ. *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here