‘ઇસ્લામ એક ઉપહાર સૌના માટે’ અભિયાનનું ભવ્ય રીતે યોજાઈ ગયેલ લોન્ચિંગ પ્રોગ્રામ

0
120

અહમદઆબાદ,
આજે ઇસ્લામ સંબંધે જોવા મળતી ગેરસમજો માટે મહદઅંશે સ્વયં આપણે પણ જવાબદર છીએ. આજે જરૃરત છે ઇસ્લામ ઉપર ચાલીને નમૂનો રજૂ કરવાની. આ જ આ કાર્યક્રમનો હેતુ પણ છે.
આ શબ્દો હતા જમાઅતે ઈસ્લામી હિંદના રાષ્ટ્રીય સચિવ માનનીય મુહમ્મદ ઇકબાલ મુલ્લા સાહેબના જે તે તેમણે તા.ર૧મી જાન્યુઆરી ર૦૧૮ના રોજ ટાગોર હોલ, અહમઆબાદ ખાતે કાર્યક્રમના અધ્યક્ષ પદેથી કહ્યા હતા. તા.ર૧મી જાન્યુઆરીથી ર૧મી જાન્યુઆરી ર૦૧૮ દરમ્યાન જમાઅતે ઈસ્લામી હિંદ, ગુજરાતના શો’બએ દા’વત દ્વારા ‘ઇસ્લામ એક ઉપહાર સૌના માટે’ શીર્ષક હેઠળ સમગ્ર ગુજરાતમાં યોજાનાર એક અભિયાનના આ પ્રારંભિક કાર્યક્રમમાં મુહમ્મદ ઈકબાલ મુલ્લાએ પોતાના આ અધ્યક્ષીય પ્રવચનમાં ખૂબજ સરળ પરંતુ હૃદયસ્પર્શી શૈલીમાં તૌહીદ એટલે કે કે એકેશ્વરવાદ અંગે પોતાની વાત રજૂ કરી હતી. વિવિધ ધર્મગ્રંથો અને તમામ ઉપાસ્યો સમાન હોવા અંગે પણ ખૂબજ તાર્કિક અને દલીલસભર રીતે ઉદાહરણો આપી તેવું નહીં હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
કુઆર્નમજીદની તિલાવત અને તેના અનુવાદ બાદ આ ૧૧ દિવસીય અભિયાનના કન્વીનર ઇકબાલ અહમદ મિર્જાએ આનો હેતુ, જરૃરત અને મહત્ત્વને સમજાવ્યા બાદ રાજ્ય સ્તરે ચાલનારા આ અભિયાનની રૃપરેખા રજૂ કરી હતી.
કાર્યક્રમના પ્રારંભીક પ્રવચનમાં જમાઅતે ઈસ્લામી હિંદ, ગુજરાતના અમીર શકીલ અહમદ રાજપૂતે દેશની નૈતિક અધઃપતનની છબી માર્મિક શૈલીમાં ઉદાહરણો આપી દર્શાવી ચિંતા વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે માનવીને તેની હૈસિયત મળવી જોઈએ અને તેણે તેને સમજવી પણ જોઈએ. દરેકે પોતાનું સ્થાન ઓળખવાની અને તે મુજબ વર્તવાની આવશ્યકતા છે. આજે એ ભૂલી જવાથી જ મોટાભાગની સમસ્યાઓ સર્જાઈ છે.
ફાતિમા તન્વીરે વર્તમાન પરિસ્થિતિમાં થઈ રહેલ ઉથલ-પાથલ અને વધતા જઈ રહેલા બગાડ વિશે ઊંડી ચિંતા વ્યકત કરી તેને દૂર કરવા ઇસ્લામી શિક્ષણને સામે રાખી કેટલાક સૂચનો રજૂ કર્યા હતા.
સાહિત્યકાર અને જાણીતા કટાર લેખક ભદ્રાયુ વચ્છરાજાનીએ પોતાની આગવી શૈલીમાં કહ્યું કે બીજને બીજો સમજવો એ જ સૌથી મોટી સમસ્યા કે હિંસા છે. ધર્મનું શિક્ષણ તો સારૃં, ઉચ્ચ અને સમજફેરના કારણે જ વિવાદ સર્જાય છે.
સ્વામિનારાયણ ગુરૃકુળના સ્વામી માધવ પ્રિયદાસે કહ્યું કે કોઈ ધર્મ પ્રત્યેની અધૂરી સમજ કે માહિતી ઉપર કોઈ ધારણા બાંધવી ન જોઈએ સાથે જ તેમણે કહ્યું કે પરસ્પર સંવાદની આજે તાતી જરૃર છે, જેથી ભડક અને ભય બંને દુર થાય.
કાર્યક્રમના અન્ય વકતાઓ પૈકી ગાયત્રી પરિવારના જયેશ બારોટ અને ખ્રિસ્તી સમુદાયના અગ્રણી ફાધર જોસેફ અપ્પાઉએ પણ પ્રાસંગિક વકતવ્યો રજૂ કર્યા હતા.
‘ઈસ્લામ એક ઉપહાર સૌના માટે’ અભિયાનના આ લોન્ચિંગ પ્રોગ્રામમાં ‘દિવ્ય કુઆર્ન’ના ગુજરાતી અનુવાદની મોબાઈલ એપ, શાહીન સાપ્તાહિક તથા યુવા સાથીના આ જ શીર્ષકના વિશેષાંકો પણ રજૂ કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here